સાદ પાડો , સાદ સાંભળનારી સાદરાવાળી મા જક્ષણી બેઠી છે .
હાથ લંબાવો , હાથ પકડનારી જગમાતા સાદરામાં બેઠી છે.
પૂનમો ભરો કે રવિવાર , પણ જે ભરો તે હૈયાની સાચી શ્રાધ્ધાથી ભરજો ,
કામ બની જશે , સપનાં સિધ્ધ થસે ને ઈચ્છાઑના પરિણામ પ્રગટશે.
કોઈ ઍ ખુબ સાચુ જ કહ્યું છે કે -' સાદરા માં બીજું કશુ જ ના હોત ને કેવળ ઍક જક્ષણીમાતા નું મંદિર જ હોત તો પણ સાદરા અમારે મન યાત્રાધામ છે ' શ્રી જક્ષણી માતાના આ સદીઓ પૂરાણા મંદિરની ઉત્પત્તિનો ઇતિહાસ પણ અદભૂત છે. ઍકવાર સાબરમાં ઘોડાપૂર આવ્યું અને જક્ષણીમાતા પૂરાણા મંદિર પર ફરી વળીને માતાજીની મૂર્તિને ઢસડવા લાગ્યું ત્યારે ' સેવકરામ ' નામના તપોધનઍ પૂરમાં ઝંપલાવી માતાજીની મૂર્તિને બાથ માં લઈ લીધી અને બચાવી લીધી ઍ સાહસના પુણ્યફળે આજે ઍમના જ વંશજો પાસે મંદિર ની પૂજાનો હક અબાધિત રહ્યો છે.
શ્રી જક્ષણી માતાનું પવિત્ર સ્થાન સાબરમતી નદી ના તટ પર આવેલા સાદરા ગામની શોભા સમું છે. આ સ્થાન ની આજુબાજુ નાની મોટી ટેકરીઓ ની હારમાળા છે અને નદીની સાન્નિધ્યમાં જ આ દેવળ આવેલું હોવાથી પ્રાકૃતિક શોભાની દ્રષ્ટી ઍ અતિ રમ્ય ભાસે છે. અમદાવાદના ગર્ભશ્રીમંત સર ચીનુભાઇ બેરોનેટ ના પિતાશ્રી માધવલાલને શ્રી જક્ષણીમાતાની કૃપા પ્રાપ્ત થઈ હતી અને તેથી તેમણે સંવંત ૧૯૫૦ માં ( ઈ . સ ૧૮૯૪ માં ) જૂના મંદિરનો જીર્ણોદવાર કરી આ વિશાળ ભવ્ય મંદિર અને બાજુમાં નાનકડી ધર્મશાળા બંધાવ્યા હતા. ઘુમ્મટ વિનાનું , છાપરાવાળું , આ મંદિર બહારથી કદાચ કોઈ ને બહુ આકર્ષક ન લાગે , પરંતુ અંદર જઈને ઍક્વાર માતાજીની મૂર્તિ સામે આંખ માંડે પછી ત્યાથી ખસવાનુ મન ન થાય ઍવી અંદરના ભાગની રમણીયતા ને ભવ્યતા છે ! અત્યારે માતાજીની કૃપાથી ચાંદી નુ સિંહાસન અને આખુ ગર્ભગૃહ ચાંદી થી શોભે છે. આ ઉપરાંત કુંભચૉક અને શ્રી અન્નપુર્ણા કેન્દ્ર જક્ષણી ધામ ની શોભા વધારે છે, રાત્રે ફલડ લાઈટ ના અજવાળે સાબારકિનારે જક્ષણીધામ દીવાદાંડી સમાન લાગે છે.
આધશક્તિ ' મા ' અંબા ભવાનીના શરણમાં જવાથી જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે. આધી , વ્યાધી , ઉપાધીના ત્રિવિધ તાપમાંથી મુક્ત થવા માટે ' મા ' જગદંબા જક્ષણી નુ શરણું ઍક ઉતમ ઔષધી છે. નદીકિનારે ટેકરી ઉપર બિરાજતાં ' મા ' જક્ષણીની અમીભરી દ્રષ્ટી અને દિવ્ય સ્વરૂપનાં દર્શન કરી સંસારી જીવો પાવન બને છે. જીવનની સાફલ્યતાનો અનુભવ થાય છે .
સંસારમાં કોઈનેય શાંતિ નથી . શાંતિ ઍને જ મળે છે. જેને ' મા ' ના દર્શનની લગન છે . શાંતિ ઍને જ મળે છે જે ' મા ' ના મનોહર મુખડાંનાં દર્શન કરી સદાય માના સ્મરણમાં મસ્ત રહે છે.
પૂ. શ્રી કેશરભવાની મહારાજે કહ્યુ હતુ કે : ' મે દેશવિદેશ સહિત અનેક સ્થળોઍ ભાગવત સપ્તાહો કરીછે, પણ અહીં સાદરમાં સાબરના તટે જગદંબા જક્ષણીના મંદિરના પ્રાગણમાં જે દિવ્ય પ્રસન્નતા થઈ હતી તે સાચેજ અજોડ અને શબ્દાતીત છે ' !
જે ' મા ' નો બની જાય છે , ઍની બની જાય છે ' મા ' ! હૈયાનાં ઊડાણમાંથી પરમેશ્વરી માટે ' મા ' શબ્દ પ્રગટશે તો ઍની પ્રતિધ્વની ઊઠયા વિના નહીં રહે . |